આજથી બોર્ડની પરીક્ષા શરૂ, CMએ વિદ્યાર્થીઓને આપી શુભેચ્છાઓ

ખબરી ગુજરાત શિક્ષણ અને કારકિર્દી

Board Exam : આજથી ગુજરાતમાં બોર્ડની પરીક્ષા શરૂ થઈ રહી છે. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને પરીક્ષા માટે શુભેચ્છાઓ પાઠવી હતી.

આ પણ વાંચો – બોર્ડ પરીક્ષાની માર્ગદર્શિકા જાહેર, એક ક્લિક પર મેળવો સંપૂર્ણ માહિતી

PIC – Social Media

Board Exam : આજથી ધોરણ 10 અને 12ની ગુજરાત બોર્ડની પરીક્ષાઓ શરૂ થઈ રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પરીક્ષા બેસનાર તમામ વિદ્યાર્થીઓને પરીક્ષામાં સફળતા મળે તે માટે શુભેચ્છાઓ પાઠવી હતી. મુખ્યમંત્રીએ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવતા કહ્યું કે, “આજથી પ્રારંભ થઇ રહેલ ધોરણ 10 અને 12 ની બોર્ડ પરીક્ષામાં બેસનાર સૌ વિદ્યાર્થીઓને સફળતાની હાર્દિક શુભકામનાઓ. આપ સૌ હકારાત્મક અભિગમ સાથે પૂરા આત્મવિશ્વાસથી પરીક્ષા આપો. માત્ર શાળાની જ નહીં, જીવનની પરીક્ષામાં પણ સફળતા મેળવીને ઉજ્જવળ ભવિષ્યને પામો એ જ અભ્યર્થના.”

જાણો ધોરણ 12માં કેટલા વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 1,32,073 પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 4,89,279 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. આ ઉપરાંત તા. 31 માર્ચ 2024ના રોજ યોજાનાર ગુજકેટની પરીક્ષામાં 1,37,700 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. આમ ગુજરાતમાં આગામી 11 માર્ચથી 31 માર્ચ સુધીમાં કુલ 16,76,739 વિદ્યાર્થીઓ બોર્ડ-ગુજકેટની પરીક્ષા આપીને પોતાની સફળ કારકિર્દીનો પ્રારંભ કરશે.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

આટલા કેન્દ્રોમાં યોજાશે પરીક્ષા

પ્રવક્તા મંત્રીએ વધુ વિગતો આપતા કહ્યું હતું કે, આગામી તા. 11 થી 22 માર્ચ 2024 દરમિયાન રાજ્યભરના વિવિધ 84 ઝોનમાં 981 કેન્દ્રો પર ધોરણ 10ની પરીક્ષા યોજાશે. જ્યારે ધોરણ 12 વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહમાં 56 ઝોનમાં 653 કેન્દ્રો પર પરીક્ષા યોજાશે. આ ઉપરાંત રાજ્યના 34 ઝોનના 34 કેન્દ્રો પર આગામી તા. 31 માર્ચના રોજ સવારે 10 થી 04 દરમિયાન ગુજકેટની પરીક્ષા યોજાશે.

બોર્ડ પરીક્ષાની માર્ગદર્શિકા

પ્રવક્તા મંત્રીએ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલી માર્ગદર્શિકાની વિગતો જણાવતા કહ્યું હતું કે,પરીક્ષા દરમિયાન પરીક્ષાર્થીઓ કોઈપણ પ્રકારની ગેરરીતિ આચરે નહિ અને પ્રમાણિકતાથી પરીક્ષા આપે તે જરૂરી છે. બોર્ડની જાહેર પરીક્ષાના તમામ પરીક્ષા સ્થળો (બિલ્ડીંગો) C.C.T.V. કેમેરાની દેખરેખ હેઠળ આવરી લેવામાં આવ્યા છે. PATA એપ્લીકેશન દ્વારા પ્રશ્નપત્રોની ઝોનલ કચેરીથી પરીક્ષા સ્થળ સુધી અને પરીક્ષા સ્થળ ખાતે પરીક્ષા ખંડમાં પ્રશ્નપત્ર પહોંચે ત્યાં સુધીનું ટ્રેકિંગ કરવામાં આવે છે.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

પરીક્ષા સ્થળ કે પરીક્ષા ખંડમાં મોબાઈલ કે અન્ય ઈલેક્ટ્રોનિક ગેઝેટ લઈ જવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. કેટલાક તત્વો દ્વારા પ્રશ્નપત્ર અંગે સોશિયલ મીડિયામાં ગેરમાર્ગે દેરવાના સમાચારો ફેલાવવામાં આવે છે તેનાથી સૌ વાલીઓ અને વિદ્યાર્થીઓએ સજાગ રહેવું અને અફવાઓ ધ્યાને ન લેવી.

પરીક્ષા કેન્દ્રો સુધી પહોંચવામાં પોલીસ કરશે મદદ

મહાનગર પાલિકા વિસ્તારમાં ટ્રાફિકવાળા વિસ્તારોમાં આવવા જવા માટે વિદ્યાર્થીઓએ ઘરથી પરીક્ષા સ્થળનું અંતર અને ટ્રાફિક ધ્યાને લઈને નીકળવું જેથી સમયસર પરીક્ષા કેન્દ્રો પર પહોંચી શકાય. પરીક્ષા સ્થળ ખાતે પહોંચવામાં રસ્તામાં કોઈપણ પ્રકારની સમસ્યા ઉદભવે તો 100 નંબર ઉપરથી પોલીસની સહાય મેળવીને પણ પરીક્ષા કેન્દ્રો પર પહોંચી શકાશે.

પરીક્ષાઓમાં ગેરરીતિના કિસ્સામાં દોષિત વ્યક્તિને દોષિત કર્યેથી 3 વર્ષ કરતાં ઓછી ન હોય અને 5 વર્ષ સુધી લંબાવી શકાય તેવી કેદની સજા અથવા રૂ. 2 લાખ સુધીનો દંડ અથવા બંને શિક્ષાની જોગવાઈ કરવામાં આવી છે.