ગુજરાતના સુપ્રસિદ્ધ વૌઠાના લોકમેળાનો આજથી પ્રારંભ

ખબરી ગુજરાત ગુજરાત

Jagdish, Khabri Media Gujarat

Vautha Lokmelo : અમદાવાદ (Ahmedabad) ના ધોળકા તાલુકામાં સપ્ત નદીના સંગમ તટ પર વૌઠા (Vautha) ગામે લોકમેળાનો પ્રારંભ થયો છે. દર વર્ષે કારતક સુદ અગિયારસથી કારતક સુદ પૂનમ સુધી આ લોકમેળો યોજાય છે. જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ સપ્તનદી સંગમ સ્થળે સ્નાન કરવા તેમજ ચકલેશ્વર મહાદેવ અને સિદ્ધનાથ મહાદેવના દર્શન કરી પાવન થવા આવતા હોય છે.

આ પણ વાંચો : મહેસાણામાં મેગા હેલ્થ ઈવેન્ટ યોજાઈ, 4000 લાભર્થીઓને અપાયો લાભ

ગુજરાતના સૌથી મોટા લોકમેળામાંથી એક છે વૌઠાનો મેળો

તા.23 નવેમ્બરથી યોજાનાર આ લોકમેળાનો રાજ્યમંત્રી દેવુસિંહ ચૌહાણે પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે રાજ્યમંત્રીએ કહ્યું હતું કે, લોકમેળાનું આપણા સમાજજીવનમાં અનેરું મહત્ત્વ રહેલું છે. ગુજરાતમાં 1600થી પણ વધુ નાના મોટા મેળાઓ થાય છે જેમાં સૌથી મોટો અને સુપ્રસિદ્ધ વૌઠાનો લોકમેળો છે. આ મેળાનો સાંસ્કૃતિક વારસો પણ ખૂબ જૂનો છે. પાંચ દિવસ સુધી ચાલનારા આ મેળામાં લાખોની સંખ્યામાં લોકો આવશે. ધંધા રોજગાર માટે ઠેર ઠેરથી લોકો અહીં આવે છે. તેમણે કહ્યું કે, અહીં પશુમેળો પણ યોજાય છે. વૌઠાના મેળા સાથે મારા વ્યક્તિગત સંસ્મરણો જોડાયેલા છે એવું તેમણે ઉમેર્યું હતું.

આ પ્રસંગે પૂર્વ કેબિનેટ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, આપણા ધર્મમાં ઉત્સવોનું અનેરું મહત્ત્વ રહેલું છે. આપણા શાસ્ત્રોમાં ઉત્સવની સાથે સાથે ધર્મને જોડ્યો છે. હું નાનપણથી આ મેળાનો સાક્ષી રહ્યો છું, હું આજ સુધી એક પણ મેળો ચૂક્યો નથી. વધુમાં ભૂપેન્દ્રસિંહે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આ તમામ બાબતોનો સમન્વય કરી અનેક ધર્મસ્થાનોનો વિકાસ કર્યો અને પ્રવાસન સ્થળ પણ બનાવ્યા, જેનો લાભ વેપાર ક્ષેત્રે પણ મળ્યો, એવું તેમણે ઉમેર્યું હતું.

આ પણ વાંચો : પહેલા શિક્ષકે સગીરાની છેડતીનો વિડિયો બનાવ્યો, પછી દોઢ મહિના સુધી…

પશુમેળો અને સપ્ત નદીમાં સ્નાનનું અનેરુ મહત્વ

વૌઠા ગામએ સપ્ત નદીઓનું સંગમસ્થાન છે. અહીં લોકમેળા દરમિયાન સ્નાનનું આગવું મહત્ત્વ હોય છે. તેમણે કહ્યું કે, આ લોકમેળામાં બાળકોથી લઈને વડીલો સુધી તમામ લોકો આવીને આનંદ માણી શકે તે પ્રકારે વહીવટીતંત્ર દ્વારા તમામ સુવિધાઓ પૂરી પાડવામાં આવી છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, વૌઠાના પ્રસિદ્ધ આ લોકમેળામાં લાખો લોકો આવતા હોય છે ત્યારે શ્રદ્ધાળુઓને કોઈ પણ પ્રકારની અગવડ ના પડે તે પ્રકારનું આયોજન કરાયું છે.

વૌઠાના મેળાની વિશેષતા એ છે કે, આ મેળો કારતક સુદ અગિયારસથી કારતક સુદ પૂનમ સતત પાંચ દિવસ સુધી સળંગ રાત-દિવસ ચાલુ રહે છે. જેમાં વિવિધ પ્રકારના મનોરંજન સ્ટોલો, ખાણી પીણીના બજાર, ખાદી ગ્રામોદ્યોગ જેવી સંસ્થાઓ, હસ્તકલા કારીગરીની વસ્તુઓનો વેપાર, સામાન્ય ચીજ – વસ્તુઓના સ્ટોલ પણ હોય છે. મેળાના વિશેષ આકર્ષણમાં પશુધનનો પણ વેપાર અહીં થાય છે. જેમાં ખાસ કરીને ગધેડા, ઊંટ, ઘોડાનો વેપાર થાય છે.